Categories
Book Gujarati books

કૃપાયાચના શતકમ (Krupa-Yachna Shatakam)

નિવેદન

પૂજ્ય શ્રીમોટા સાથે આગવી રીતે સંકળાયેલ સાથી સ્વ.હેમંતકુમાર નીલકંઠ કૃપામાર્ગના પ્રવાસી હતા. તેઓશ્રીના જીવનમાં પૂજ્ય શ્રીમોટાએ જે જે પ્રકારની હૂંફ અને સહાય પ્રેરી હતી, તેનો ઉલ્લેખ પૂજ્ય શ્રીમોટાના તેમ જ પૂજ્ય ભાઈશ્રી નંદુભાઈનાં પ્રકાશિત લખાણોમાંથી મળી શકે છે.

પૂજ્ય શ્રીમોટાની કૃપા યાચતા કેટલાક શ્લોકો સંસ્કૃત ભાષામાં ‘कृपायाचना शतकम्’ શ્રી નીલકંઠ દાદાએ રચેલા, પણ તેય ગુપ્તપણે. આવા શ્લોકો જ્યારે જાણકારીમાં આવ્યા ત્યારે તેમાંથી પસંદ કરાયેલ સો જેટલા શ્લોકોનો ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ કુરંગીબહેન દેસાઈએ કર્યો હતો. તેની પ્રથમ આવૃત્તિ સને ૧૯૯૬માં શ્રી યશવંતભાઈ પટેલ, રહેવાસી મણિનગર, અમદાવાદ દ્વારા થઈ હતી.

પૂજ્ય શ્રીમોટાના સાથીદાર તરીકે શ્રી નીલકંઠ દાદાની સ્મૃતિને ચિરંજીવ રાખવાના એક નમ્ર પ્રયાસ તરીકે તેમ જ જિજ્ઞાસુ સ્વજનો તેનો આસ્વાદ માણી શકે એ ભાવનાથી પ્રથમ પ્રકાશકની ઉદાર અનુમતિથી ‘कृपायाचना शतकम्’ની આ બીજી આવૃત્તિનું પ્રકાશન કરતાં અમો આનંદની લાગણી અનુભવીએ છીએ.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય પૂરા સદ્‌ભાવપૂર્વક શ્રી જયંતીભાઈ જાનીએ કરી આપ્યું છે. ટાઇટલ ડિઝાઇનનું કાર્ય શ્રી મયૂરભાઈ જાનીએ કરી આપ્યું છે. આ પુસ્તકને પૂરા સદ્‌ભાવથી છાપી આપવાનું કાર્ય સાહિત્ય મુદ્રણાલયના શ્રી શ્રેયસભાઈ વિષ્ણુભાઈ પંડ્યાએ કરી આપ્યું છે. પૂજ્ય શ્રીમોટા પરત્વેના ભક્તિભાવથી પ્રેરાઈને આ સર્વેએ આ પ્રકાશનમાં આપેલા સહકાર બદલ, તે સૌના અમો ખૂબ ખૂબ આભારી છીએ.

આશા છે કે સ્વજનો આ પ્રકાશનને આવકારશે.

પૂજ્ય શ્રીમોટાનો ૧૧૨મો જન્મદિન                                                                                                         ટ્રસ્ટીમંડળ,

ભાદરવા વદ ચોથ, સંવત ૨૦૬૫                                                                                                    હરિઃૐ આશ્રમ,સુરત

તા. ૪-૯-૨૦૦૯