Categories
Book Gujarati books

પુનિત પ્રેમગાથા (Punit Prem-Gatha)

 

સંપાદકના બે બોલ

આ ચોપડીમાંનું લખાણ જુદી જુદી વ્યક્તિઓને લખાયેલું છે અને તે દરેક વ્યક્તિના જીવનના જુદા જુદા પ્રશ્ન અને જુદી જુદી ભૂમિકા અંગેનું છે . તેથી , તેમાં અનેકવાર એકના એક ભાવાર્થવાળું લખાણ પણ ક્યાંક ક્યાંક આવી જાય છે . દરેક પથ એક સ્વતંત્ર વ્યક્તિને હોઈને તે આપણા સમાજમાંથી અનેક વ્યક્તિઓના જીવનને લાગુ પડી શકે તેવું છે .

સમાજમાં પ્રચલિતપણે ‘ પ્રેમ’નો જે અર્થ થાય છે , તેના કરતાં ઘણીયે ઉચ્ચ ભૂમિકાને ઉદ્દેશતું અને તેને વિષય કરતું આ બધું લખાણ છે . ધણીય વ્યક્તિ પોતે અંતરથી સાચી રીતે માનતી હોય કે તે પોતે પ્રેમની સાચી ભાવનાથી જ અમુક અમુક પ્રસંગોમાં દોરવાયેલી છે , પરંતુ તે તેના સાચા મૂલ્યાંકનમાં પ્રેમ નથી હોતો પણ કોઈ ને કોઈ પ્રકારની આસક્તિ કે મોહની વૃત્તિ જ હોય છે , તે બધું સ્પષ્ટપણે આ લખાણમાં સમજાવવામાં આવ્યું છે . પ્રેમનાં ઉત્તમોત્તમ લક્ષણો કર્યા અને શાં હોવાં ઘટે તેનો પણ તેમાં નિર્દેશ છે . લખનાર , પ્રેમ એટલે ભગવાનનો ભાવ એમ આખરે તો સમાવવા માંગે છે .

પતિ – પત્ની સાથેનો સંબંધ , મિત્ર – મિત્ર વચ્ચેનો સંબંધ , કૌટુંબિક અનેક વ્યક્તિઓ સાથેનો સંબંધ , સમાજ સાથેનો સંબંધ તથા વ્યષ્ટિ અને સમષ્ટિ સાથેનો સંબંધ – એ બધા માનવી જીવનોના સંબંધોમાં પરાત્પર પ્રેમ સુક્ષ્મ , સળંગ અને સમગ્રપણે ભાગ ભજવી રહેલો છે , તેનું પણ ભાન લખનાર , વાચકને જરૂર ઉપાવે છે . છેક સામાન્ય માનવીના જીવનની મૂઢતા અને તેની અશાન દેશાને સ્પષ્ટ ચિત્રની જેમ આલેખીને તેને પોતાની દશા શી છે તેની સામે આંગળી ચીપીને તેને તે દશામાંથી જાગૃત કરવાને અને ચેતનાપૂર્ણ જીવનના ઉત્ક્રાંતિપ્રેરક ચેતના , ભાવ શક્તિના પ્રેમસ્વરૂપને જીવનના એક મહાન આદર્શ તરીકે , એટલું જ નહિ પણ જીવનને એ રીતે સમજવાને , ઘડવાને અને અનુભવવાને લખનાર , પ્રેમને એક મહામોંઘામૂલા સાધન તરીકે રજૂ કરે છે.

આમાં આધ્યાત્મિક જીવનના ઉત્કૃષ્ટ અનુભવોની ભલે છાંટ , છાપ કે અસર કોઈને ન જણાય , તેમ છતાં તેમાં જીવનને સમજવા માગનાર અને જીવન પરત્વે જેની સાધનાની દૃષ્ટિ છે , એવાને ‘ એક ડગલું બસ થાય ‘ એટલું પોષણતત્ત્વ તો જરૂર મળી રહેશે એમ ખાતરીપૂર્વક લખવાનું મન થાય છે .

લખનાર , જુદી જુદી વ્યક્તિઓના સંબંધમાં આવેલા હોવાથી તેમને તેમની જીવનની ઘરેડમાંથી ઊંચે લાવવાને , કેટકેટલી તાલાવેલી થાય છે અને તેમને તેમના જીવનના તેવા તેવા વલણ કે વર્તનથી કેટકેટલું દુઃખ થાય છે એનું સંવેદન પણ આ લખાણમાં વાંચનારને અસર કર્યાં વિના રહેશે નહિ .

આ બધું લખાણ કોઈ ને કોઈ વ્યક્તિના તેમના પર આવેલા કાગળના પ્રતિ – ઉત્તરરૂપે લખાયેલું છે અને તે લખાણ એક રીતે તે તે વ્યક્તિના જીવન અંગે લખાયેલું હોવાથી ખાનગી ગણી શકાય , પરંતુ ‘ સ્વાનુભવમાં સર્વાનુભવ ‘ સમાતો હોવાથી તેને જનતા – જનાર્દનને ચરણે મૂકવાનું યોગ્ય ધાર્યું છે . તે તે વ્યક્તિઓ બધાં એક સ્વજન જેવાં છે એટલે તેમની આ કાગળો છપાવવાની પરવાનગી લીધી નથી , પરંતુ આ લખાણના છપાવવા સાથે તે બધાંની હૃદયની સંમતિ છે એમ માની લેવામાં આવ્યું છે અને આશા છે કે તે સર્વના તેમાં આશીર્વાદ છે જ .

આ ચોપડીના પ્રસ્તાવનાલેખક શ્રી ગુરુદયાલ મલ્લિકજી વિશે બે બોલ લખું તો તે અયોગ્ય નહિ ગણાય . તેઓ સરહદ પ્રાંતના છે અને ગુજરાતી લખાણ ઉપર તેઓ આવું પ્રસ્તાવનારૂપે લખે એટલે તો તેમના વિશે તે બાબતમાં સ્ફોટ કરવાનું ઉચિત જ છે . તેઓ સદ્દગત કવિવર ટાગોરના લગભગ ૨૦ વર્ષના સાથી છે અને તેઓશ્રીના ભક્ત છે . શાંતિનિકેતનના વિશ્વભારતીના તેઓ અંગ્રેજી વિષયના ઘણાં વર્ષો સુધી અધ્યાપક હતા . એક વખતના ખ્રિસ્ત સેવાસંધના પાદરી સભ્ય પણ હાલમાં ગોંડ જાતિને હૃદયથી અપનાવી તેની સેવા કરનાર તથા પૂજ્ય ગાંધીજીના નિકટ સમાગમમાં આવેલા શ્રી વેરિયર એલ્વિને , એક સ્પેનિશ અંગ્રેજ ભક્ત ‘ રિચર્ડ રોલબલ ‘ નું જીવનચરિત્ર લખ્યું છે . તે એમણે શ્રી ગુરુદયાલજીને સમર્પણ કરેલું છે . હિંદુસ્તાનના અંગ્રેજી ઉત્કૃષ્ટ માસિકોમાં તેમનાં આધ્યાત્મિક લખાણો વિશે જેમણે વાંચ્યું હશે , તેઓ તેમના નામથી જાણીતા હશે . તેઓ ગુજરાતી ભાષા વાંચીને સમજી શકે છે અને સાધારણ બોલી પણ શકે છે . લખનારે આ લખાણ તેમની સાથે બેસીને વાંચ્યું છે , સાધારણ ગુજરાતી સમજનાર એવા એમને આ બધું લખાણ સરળપણે સમજાયું છે , એટલે ગુજરાતી આમ જનતાને આ સમજાવવાને વિશેષ શ્રમ લેવો નહિ પડે એટલી સરળતા આ લખાણમાં છે .

આ ચોપડીનો આમુખ એક બહેને લખ્યો છે . ગુજરાતમાં સદ્દગત અબ્બાસ તૈયબજી સાહેબનું નામ સર્વ કોઈ જાણતું હશે જ . તેમનાં દીકરી શ્રીમતી રેહાનાબહેન તૈયબજી . અને તેમનું નામ પણ તેટલું જ જાણીતું છે . અને તે કરતાંયે તેમના હૃદયનો શ્રીકૃષ્ણ પરત્વેનો શુદ્ધ હૃદયનો ભક્તિભાવ એ તો એનાથીયે વિશેષ જાણીતો છે . તેમનાં ભજનો સાંભળવાં એટલે ભક્તિના ભાવમાં તરબોળ થઈ તેમાં લય પામવાનો અનુભવ . જોકે એમનાં ભજનોનો આસ્વાદ ગુજરાતને મળ્યો નથી એ એક દુર્ભાગ્યની વાત હું સમજું છું . તેમનાં થોડાંક ભજનો ‘ બુદ્ધિપ્રકાશ‘માં છપાયાં છે .તેમનું અંગ્રેજીમાં લખાયેલું સ્વયંપ્રેરિત ‘ The heart of a Gopi ’ ( ગોપીનું હૃદય ) જેમણે વાંચ્યું હશે તે તો તેમને કદી ભૂલી જઈ શકે તેમ નથી . તેમણે આ ચોપડીનો આમુખ લખી આપેલો છે . ભક્ત હૃદય જ ભક્તને પારખી શકે . કોઈ પણ વસ્તુનું તારતમ્ય , મહત્ત્વ કે રહસ્ય તેનું જે કોઈ પરમ ભક્ત હોય તે જ પૂરું નાણી શકે . તેમણે જે પ્રેમભાવે લખનારની કદર બૂજી છે , એ રીતે લખનારને અનુભવવાની શ્રદ્ધાભક્તિવાળી તાકાત અમારા જીવનમાં પ્રગટો તે પ્રાર્થના છે .

ભાઈશ્રી કાંતિભાઈએ આ બધાં લખાણો ઉતારવામાં જે શ્રમ ઉઠાવ્યો છે . તે શ્રમનો તેમને જીવનમાં પ્રેરણાત્મકપણે ચિતવનરૂપે ખ્યાલ જાગ્યા કરો એટલી પ્રાર્થના છે . અને જે જે વ્યક્તિઓને ઉદ્દેશીને આ લખાણો લખાયાં છે . તે તે વ્યક્તિ આ લખાણો વાંચીને પોતે વધારે ને વધારે પોતાના જીવનના ધ્યેયમાં નિષ્ઠા પામતાં જાય એવી પણ અપેક્ષા હૃદયમાં જાગે છે .

 નંદલાલ ભોગીલાલ શાહ

ગુરુપૂર્ણિમા : સં . ૨૦૦૩ – સને ૧૯૪૭

હરિજન આશ્રમ , સાબરમતી

Categories
Book Gujarati books

જીવનરસાયણ (Jivan Rasayan)

સંપાદકના બે બોલ

 છેલ્લાં બે એક વર્ષથી પૂજ્ય શ્રીમોટા તેમની અનુભવદશાનાં ભજનો વિવિધ પ્રકારે લખતા રહ્યા છે. અને તેનું પુસ્તક પ્રસિદ્ધિનું કાર્ય તેમનાં સ્વજનો ઉપાડી લે છે. અમે પણ પૂજ્ય શ્રીમોટાને તેમનાં ભજનોના એક પુસ્તકની પ્રસિદ્ધિનું કામ સોંપવા માગણી કરી અને તેની ફળશ્રુતિ તે આ જીવનરસાયણ.

પૂજ્ય શ્રીમોટાનાં આ ‘જીવનરસાયણમાં છપાયેલાં ભજનોનું આચમન સૌ કોઈ કરી શકે છે.-જેમ સરિતાના જળનું આચમન સૌ કોઈ કરી શકે છે. એને કોઈ ભેદ હોતો નથી. પંખી, પશુ, પ્રાણી, જીવજંતુ, માણસ સૌ કોઈ તેનાં પાણી પીવે છે. સરિતા તો માત્ર આપવાનો આનંદ-લહાવો જ માણે છે.

તે પ્રમાણે આપણા સંતભક્તોને પણ કશાના ભેદ હોતા નથી. તેમની પાસે પુણ્યશાળી કે પાપી, સારા કે ખરાબ, ઊંચ કે નીચ, ધનવાન કે ગરીબ, અભણ કે વિદ્વાન, શહેરી કે ગામડિયો, સ્ત્રીઓ, પુરુષો કે બાળકો સૌ કોઈ જઈ શકે છે, અને તેઓ જગતના શીતળ છાંયડે તેમને વિસામો આપે છે. સરિતાની જેમ તેઓ તો માત્ર આપવાનો આનંદ-લહાવો જ માણતા હોય છે.

જીવનમાં આનંદ તો સૌને જોઈએ છે, પરંતુ એ આનંદ મેળવવા માટે આપણે કેટલો પુરુષાર્થ કરીએ છીએ ? આનંદ મેળવવો હોય કે કંઈ કશાની પ્રાપ્તિ કરવી હોય, તો કેટલો અને કેવો પુરુષાર્થ કરવો પડે છે, તેનું દર્શન આ પુસ્તકોનાં ભજનો વાંચતાં વાચકને થશે.

ગુણોનાં નામ આપણે જાણીએ છીએ ખરાં, પરંતુ તે મેળવવા માટે આપણે શું કરીએ છીએ ? જીવનમાં  गुणप्राप्ति અને એ દ્વારા साधनाविकासને પંથે પળવા ઇચ્છતાં ભાઈબહેનો માટે આ પુસ્તક એક ભોમિયાની ગરજ સારશે. વાચકો વાંચે અને તેનો અનુભવ કરે એ જ વિનંતી.

પૂજ્ય શ્રીમોટાના આ પુસ્તકમાંથી જીવનવિકાસના મુમુક્ષુઓને સામગ્રી મળે છે. શું કરીએ તો જીવન પલ્લવિત થાય અને નવજીવનને પામે, તેનો સાર જેઓ શોધશે, તેને આ પુસ્તકમાંથી જરૂર મળી રહેશે.

આધ્યાત્મિક માર્ગનું શિખર સર કરવા માટે કેટકેટલાં પગથિયાં ચડવાં પડે છે ! અને ક્યાં ક્યાં સીધાં, આકરાં અને દુર્ગમ ચઢાણ આવે છે, તે આ પુસ્તકનાં ભજનો વાંચતાં સહેજે સમજાશે, અને માર્ગ કેવો ગહન છે, તેનો પણ સૌને ખ્યાલ આવશે.

દરેક વિષયને તેની ક્રિયા પ્રક્રિયાઓમાંથી પાર પડાય તો જ તેના વિજયને પમાય છે. તેવું જ  આધ્યાત્મિક માર્ગને વિશે પણ છે.

પૂજ્ય શ્રીમોટાએ તેમની જીવનસાધનામાં કેટકેટલાં કષ્ટો સહન કર્યાં છે, તે આ પુસ્તકનાં ભજનો વાંચતાં વાચકોને જાણવા મળશે. અને જેઓ આધ્યાત્મિક માર્ગમાં આગેકૂચ કરવા ઇચ્છતા હશે તેમને તેમાંથી સ્પષ્ટ માર્ગદર્શન મળી રહેશે.

આ રીતે આવું ઉત્તમ પુસ્તક પ્રસિદ્ધ કરવાની પૂજ્ય શ્રીમોટાએ અમને અનુમતિ આપી, તે માટે અમે તેમના ઘણા ઘણા આભારી છીએ. પૂજ્ય શ્રીમોટા, તેમના દરેક પુસ્તકના વેચાણની રકમ સમાજ- પરમાર્થનાં કાર્યોમાં જ વાપરતા હોય છે. તે રીતે જેઓ આ પુસ્તક ખરીદીને વાંચશે તેમને જીવન ઉપયોગી સાચું વાંચન વાંચવા મળશે જ, તેની સાથે સમાજ-પરમાર્થના કાર્યોમાં મદદ કરવાનું શ્રેય મળશે તે તો વધારામાં. ગુજરાતની પ્રભુપ્રેમી જનતા આ પુસ્તકને સત્કારશે એવી આશા છે

 – જીવણલાલ ચતુરદાસ ચૌહાણ